Tuesday 21 March 2017

🎆🎆*વિશ્વ કઠપૂતળી દિવસ*🎆🎆

👉 *આજ નો દિવસ :-*

       *વિશ્વ કઠપૂતળી દિવસ*

      ૨૧ માર્ચે દુનિયાભરમાં વિશ્વ કઠપૂતળી દિવસ તરીકે મનાવાય છે. કઠપૂતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હોવા છતાં આજે ભારતમાં તે મૃતપ્રાય હાલતમાં છે. ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપૂતળી સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે

‘એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.

આ ખેલ લોકશિક્ષણનું કાર્ય પણ કરતા. આ ખેલના કલાકારો રોજ કોઈ ગામમાં ખેલ બતાવીને પેટ પૂરતું રળી લેતા. સમય જતાં લોકોનાં જીવનધોરણથી માંડીને મનોરંજનનાં સાધનોમાં પરિવર્તન આવ્યું. સિનેમા અને ટેલિવિઝન જેવાં ઉપકરણોએ પરંપરાગત કળાઓને મરણતોલ ફટકો માર્યો. એ ઘા એટલો જડબેસલાક નીવડ્યો કે પરંપરાગત કળાઓ પર અનેક વિચરતી-વિમુક્ત જાતિઓનો જીવનનિર્વાહ ચાલતો હતો તે બંધ થઈ ગયો. કઠપૂતળી આવી વિસરાયેલી કળાઓમાંની એક છે.

👉 કઠપૂતળીનો ઇતિહાસ

મોહેં-જો-દડો અને ઈજિપ્તના પિરામિડોમાંથી પ્રાચીન પૂતળીઓ મળી આવી હતી. ઔરંગઝેબના સમયમાં કઠપૂતળીના ખેલમાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘અમરસિંગ રાઠોડ’ની શૂરવીરતા રજૂ કરાતી. પરિણામે સ્થાનિકોમાં બળવો થવાની આશંકાએ ઔરંગઝેબે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો, ત્યારથી કઠપૂતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને ‘પીપાડી’ (સીટી)થી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું. ભારતમાંથી જ કઠપૂતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા. આ દેશોમાં આજેય ભારતીય પારંપરિક કઠપૂતળી કળા હયાત છે.

હાલ ગુજરાતમાં જે કઠપૂતળીની કળા રજૂ થાય છે તે રાજસ્થાનથી આયાત થયેલી છે. રાજસ્થાનમાં રાજ નટ, દક્ષિણી નટ અને ભાટ નટ એમ ત્રણ પ્રકારની નટજાતિ છે. ભાટ નટ કઠપૂતળી ભાટ તરીકે ઓળખાય છે. ભાટ કોમની ચાર પેટા જાતિઓ રાજભાટ, રાવભાટ, કંકાળીભાટ અને દક્ષિણીભાટ છે. જેમાંથી રાજભાટ રાજાના દરબારમાં રાજકવિ તરીકે સ્થાન પામ્યા હતા. રાવ ભાટ વિવિધ કોમના ‘બારોટ-વહીવંચા’ બન્યા. કંકાળીભાટ કઠપૂતળીના ખેલ સાથે જોડાયા. જેમાં દક્ષિણી નટ કોમ પણ જોડાઈ, જે પછીથી નટભાટ તરીકે ઓળખાઈ. ગુજરાતમાં વસતી ‘બ્રહ્મભટ્ટ’ કોમ અસલમાં ‘રાવ ભાટ’ છે. રાજસ્થાનના બિકાનેર પાસે આવેલા દેશનોક ગામમાં કરણી માતાજીના મંદિરની જાત્રાએ આજે પણ બ્રહ્મભટ્ટ કુટુંબો જાય છે.

કઠપૂતળીના કલાકારની કારમી ગરીબી પાછળ પણ એક દંતકથા છે. પાંચમી સદીમાં રાજસ્થાનમાં પાદલિપ્ત સૂરિ નામના જૈન સાધુ હતા. તેઓ ૨૭ ઔષધીઓનો રસ પગે લગાવીને અદૃશ્ય થઈ શકતા હોવાથી તેમનું નામ પાદલિપ્ત સૂરિ (પાદ એટલે પગ, લિપ્ત એટલે લીંપેલા પગવાળા. આમ, લીંપેલા પગવાળા એટલે પાદલિપ્ત) પડેલું. તેમણે ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના માટે એક કઠપૂતળી બનાવી, જે આંખો પણ પટપટાતી.

કઠપૂતળી આરામના સમયે સાધુને હાથથી પંખો નાખતી. સાધુની આ કઠપૂતળીની ખ્યાતિ આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ. જે કેટલાક લોકોને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. ઈર્ષાળુઓએ રાજાને ફરિયાદ કરી કે સાધુએ બનાવેલી કઠપૂતળીનો ચહેરો તમારી બહેન જેવો છે. પરિણામે રાજાએ ઉશ્કેરાઈને સાધુને અપમાનિત કરી રાજ્યમાંથી હાંકી કાઢ્યા. અપમાનથી વ્યથિત થયેલા પાદલિપ્ત સૂરિએ કઠપૂતળીને તોડીને રસ્તા પર ફેંકી દીધી અને શાપ આપ્યો કે તારી સાથે જીવનાર હંમેશાં ભૂખે મરશે.

👉 *ગુજરાતમાં કઠપૂતળી*

ગુજરાતમાં કઠપૂતળી કળાનો પર્યાય ગણાય તેવી એકમાત્ર હયાત વ્યક્તિ છે મહીપત કવિ. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા મહીપત કવિ આજે એંસી વર્ષની ઉંમરે પણ આ કળાના વિકાસ અને સંવર્ધન માટે ગાંઠનાં કાવડિયાં ખર્ચીને મથી રહ્યા છે. પત્ની લીલાબહેન (જેમનું હજુ થોડા મહિના અગાઉ જ નિધન થયું છે.) સાથે આખી જિંદગી કઠપૂતળીની કળા પાછળ ખર્ચી નાખનાર મહીપત કવિ આ ઉંમરે પણ દેશ ઉપરાંત દુનિયાભરમાં કઠપૂતળીના ખેલ રજૂ કરે છે. મહીપતભાઈ કહે છે, “ગુજરાતમાં કઠપૂતળીને વેઢી-વિષ્ટિકા કહે છે.

જેનો મતલબ થાય છે કપડું વીંટીને બનાવેલી ઢીંગલી. તેના મુખ્ય ચાર પ્રકાર છે. ગ્લવ્ઝ પપેટ, રોડ પપેટ, શૅડો પપેટ અને સ્ટ્રિંગ પપેટ. ગ્લવ્ઝ પપેટ હાથમાં પહેરાય છે. રોડ પપેટને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે. જ્યારે શૅડો પપેટ પડદા પર પડછાયા દ્વારા રજૂ થાય છે. દરેકની બનાવટ અને રજૂઆત અલગ રીતે થાય છે. મહારાષ્ટ્રમાં કઠપૂતળીની કળા બાઉલી, કર્ણાટક અને મૈસુરમાં ગોમ્બેઆટ્ટા, કેરળમાં તોલપાવૈ-તૂણીપાવા, ઓરિસ્સામાં સખીનત્ત અને રાવણછાયા, બંગાળમાં પુત્તુલ નાચ-બેનીર પુત્તુલ અને આંધ્રમાં બોમ્મા-તોળુ બોમ્મા તરીકે રજૂ થાય છે.”

આ કળા દેશનાં અન્ય રાજ્યોમાં ટકી પણ ગુજરાતમાં ડચકાં ખાઈ રહી છે તેની પાછળનાં અનેક કારણો પૈકીનું એક કારણ ગુજરાતી પ્રજાની કળા પ્રત્યેની ઉદાસીનતા છે. ગુજરાતી ફિલ્મો-નાટકો પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યાં છે, ત્યારે આ મામલે પ્રજા કરતાં સરકાર વધુ જવાબદાર લાગે છે. જેનું ઉત્તમ ઉદાહરણ મહીપતભાઈ છે. જિંદગીના સાત દાયકા કઠપૂતળીની કળા પાછળ ખર્ચી નાખનાર આ વીરલાને રાજ્ય સરકારે કાણી પાઈની પણ સહાય કરી નથી. ત્રણ દીકરા-દીકરીના પરિવાર સાથે તેઓ આ કળાને ટકાવી રાખવા ગાંઠના પૈસા ખર્ચીને મથી રહ્યા છે.

ફ્રાન્સ, ડેન્માર્ક, ઈટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપૂતળીના ખેલ માટે બોલાવાય છે. ત્યાંથી મળતા પૈસામાંથી ગાડું ચાલ્યું જાય છે. મહીપતભાઈ અને તેમનાં સ્વર્ગસ્થ પત્નીએ લંડનના બકિંગહામ પેલેસમાં રાણીની સામે કઠપૂતળીના ખેલ દર્શાવ્યા છે. જે તે દેશની ભાષામાં તેઓ રામાયણ- મહાભારતના ખેલ કઠપૂતળીના માધ્યમથી રજૂ કરે છે. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના જમાનામાં પણ વિદેશીઓ હોંશેહોંશે તેમના ખેલ જોવા ઉમટી પડે છે. તેઓ કહે છે, “કઠપૂતળી મનોરંજન સાથે શિક્ષણ આપે છે, આ વાત વિદેશીઓ વધુ સમજે છે. કેન્દ્રીય સંગીત નાટક અકાદમી આ કળાને પ્રોત્સાહન આપે છે, ગુજરાતની સંગીત નાટક અકાદમી આ બાબતે ઉદાસીન છે.”

👉 *કઠપૂતળીના પતનનાં કારણો*

આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનનાં સાધનોનો વિકાસ છે. કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ છે. તેમને સરકારી યોજનાનો સહારો કે નથી સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ નથી. ગુજરાતમાં પૂતળી ભાટ કોમનાં લગભગ સવાસો કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં વસે છે.

જેમાંથી કઠપૂતળીના ખેલ કરનારા ગણ્યાગાંઠ્યા કલાકારો રહ્યા છે. મોટાભાગના હવે કાપડનાં હાથી-ઘોડા, તોરણ, ચકલી-પોપટની સેરો, નાનીમોટી કઠપૂતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે. શિક્ષણની ઉપેક્ષા અને ગરીબીરેખાથી પણ નીચું જીવનધોરણ હોવાથી તેઓ સામાન્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. બાકી હતું તે સિનેમા, ઈન્ટરનેટ, કમ્પ્યૂટર, સ્માર્ટફોન જેવાં મનોરંજન માધ્યમોએ પૂરું કર્યું. લોકો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી એવા બંધાઈ ગયા છે કે તેમને કઠપૂતળી જેવી પ્રાચીન કળામાં રસ રહ્યો નહીં.

👉 *કઠપૂતળી કેમ બચી શકે ?*

આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે. સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગ્રત થાય તે પણ જરૂરી છે. કઠપૂતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થઈ શકે. એનજીઓ દ્વારા આ કોમના પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપવું પડશે. કઠપૂતળી કળાનો ઉપયોગ બાળ શિક્ષણ, સમાજ શિક્ષણ, મનોરંજન, દિવ્યાંગો માટે થઈ શકે. વિદેશોમાં ખાસ કરીને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં કઠપૂતળીને સમાવાઈ છે.

જેમાં આઠમા ધોરણ સુધીનાં બાળકોને પપેટ દ્વારા અંગ્રેજી ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય ટેક્નોલોજીનું જ્ઞાન અપાય છે. આ પ્રયોગ આપણે ત્યાં અમલમાં મૂકી શકાય. કલા-કલાકારો સમાજનો શણગાર છે. કઠપૂતળીની કળાનો શણગાર આજે ઝાંખો પડી ગયો છે. તેને ફરીથી ચમકદાર બનાવવાની જરૂરિયાત છે. જો એમ નહીં થાય તો એ દિવસ દૂર નથી જ્યારે કઠપૂતળીની કળા મ્યુઝિયમોના કાચના કબાટમાં કેદ થઈને પોતાની કમનસીબી પર આંસુ સારતી હશે.

No comments:

Post a Comment